અજ્ઞાન નહીં પણ અવજ્ઞા

અજ્ઞાન નહીં પણ અવજ્ઞા
અજ્ઞાન નહીં પણ અવજ્ઞા આપણા શાસ્ત્રો,આપણા શાસ્ત્રિઓ અને આપણા તત્ત્વ ચિંતકો કહેતા આવ્યા છે અને હજી પણ કહેતા રહે છે કે દરેક વ્યકિતમાં રહેલા અહંકારનું કારણ છે અજ્ઞાન. આ અજ્ઞાનને દૂર કરો તો જ બ્રહ્મતત્ત્વની અનુભૂતિ થાય.પણ એને દૂર કરતાં પહેલા જાણવું તો જોઇએને કે અજ્ઞાન એટલે શું? મારી સમજ પ્રમાણે, જેમ પ્રકાશનો અભાવ એટલે અંધકાર કહેવાય અથવા ગરમીનો અભાવ એટલે ઠંડી કહેવાય તેમ જ જ્ઞાનના અભાવને અજ્ઞાન કહી શકાય. પરંતુ આ જ વાત ઉલટ રીતે કહીએ અર્થાત અંધકારના અભાવને પ્રકાશ કહીએ કે ઠંડીના અભાવને ગરમી કહીએ અથવા અજ્ઞાનના અભાવને જ્ઞાન કહીએ તો તે સાચું ન ગણાય. કારણ પ્રકાશ,ગરમી અને જ્ઞાન એ શકિતના રૂપ છે જયારે અંધકાર,ઠંડી અને અજ્ઞાન આપણા મનને થતી ભ્રમણા કે અભાસ છે.શકિતથી આભાસ દૂર કરી શકાય આભાસથી શકિત દૂર ન કરી શકાય. પ્રકાશ,ગરમી અને જ્ઞાન આ ત્રણે શકિતના રૂપ તો છે પરંતુ જ્ઞાન શકિત આ બીજી બે શકિતઓની જેમ સરળતાથી મેળવી કે ઉત્પન્ન કરી શકાતી નથી. કારણ જ્ઞાન શકિત મેળવવાના બે સાધન ‘મન અને બુદ્ધિ’ ઉપર કાબૂ મેળવવો ખૂબ મુશ્કેલ છે. અને આ મુશ્કેલીનું મુખ્ય કારણ અજ્ઞાન નહી પણ અવજ્ઞા છે. અવજ્ઞા એટલે આપણા મનને જાણે અજાણે (વિહીતં અવિહીતં વા) ઘેરી લેતી ટાળવાની ઍટલે કે ધ્યાનમાં નહી લેવાની મનોવૃત્તિ.જેમ કે કોઇએ મારી અવજ્ઞા કરી હોય તો ભાવિમાં હું જાણી જોઇને તેની અવજ્ઞા કરૂં એમ બને.અથવા કદીક એવું પણ બને કે મારૂં મન કોઇ વિચારમાં ગરકાવ થઇ ગયું હોય તો મારી નજીકથી પસાર થઈ રહેલ કોઇ ઓળખીતી વ્યકિત પણ મારા ધ્યાનમાં ન આવે અને એને કદાચ એમ લાગે કે હું તેની અવજ્ઞા કરી રહયો છું
હવે વળી પાછા બ્રહ્મતત્ત્વ વિશે વિચારીએ.આ બ્રહ્મતત્ત્વનું બીજું નામ છે સત - ચિત્ત - આનંદ. સત એટલે નર્યું અસ્તિત્ત્વ, ચિત્ત એટલે જ્ઞાન અને આનંદ એટલે નિર્વિકલ્પ શાંતિ. આપણે સહુ બ્રહ્મતત્ત્વને સર્વવ્યાપી માનીયે છીએ તો એનો અર્થ તો એ થયોને કે ચિત્ત,જ્ઞાન અને શાંતિ પણ સર્વવ્યાપી છે. વળી આપણે સહુ જાણીએ છીએ કે જેમ પ્રકાશ અને અંધકાર કદી એક સાથે એક જ સ્થાને ન રહી શકે તેમ જ જ્ઞાન અને અજ્ઞાન પણ કદી એક સાથે એક જ સ્થાને ન રહી શકે. હવે જો જ્ઞાન સર્વવ્યાપી હોય તો કહો અજ્ઞાન કયાં જઇને રહે ?. આ ઉપરથી તો એમ કહેવાય કે અજ્ઞાનનું અસ્તિત્વ તો બીલકુલ અસંભવ છે. તો પછી અહંનું કારણ શું ? હું તો એમ માનું છું કે અહંનું કારણ અવજ્ઞા જ હોઇ શકે.આપણે સહુ જાણે અજાણે જ બેધ્યાન થઇ જઈએ છીએ. આપણું ભટકતું મન કશે સ્થિર થઇને બેસી શકતું નથી. અને આપણે પણ તેની આ વૃત્તિથી કંટાળી તેનેે સ્થિર કરવાનો પુરુષાર્થ પડતો મૂકી તેને ભટકવા દઇએ છીએ. તેની આ વૃત્તિની અવજ્ઞા કરીએ છીએ. આ ભટકતા મન ઉપર જો કાબુ મેળવવો હોય તો સૌથી પહેલા આપણે મકકમ નિર્ધાર કરવો જ પડે. આ નિર્ધારને પતંજલીએ ‘ધારણા’નું નામ આપ્યું. પરંતુ કેવળ નિર્ધારથી કામ નથી થતું ભૂલેચૂકે પણ એ નિર્ધારની અવજ્ઞા ન થઇ જાય એનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. અને તે માટે મનને કોઇ એક વિષય ઉપર સ્થિર કરવું પડે છે. આને પતંજલીએ ‘ધ્યાન’ કહયું. ધ્યાન કેવળ બ્રહ્માનુભૂતિ માટે જ નથી પણ જીવનના કોઇ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ખૂબ જરૂરી છે. જયારે મન ધારેલા વિષય ઉપર સ્થિર થઇ જાય છે ત્યારે તે વિષયમાં તે આપો આપ લય થઇ જાય છે. આને જ પતંજલી ‘સમાધિ’ કહે છે. અને આવા સમાધિષ્ઠ મનમાંથી જ સત્યના નાના નાના સૂત્રો સરી પડે છે. જેવા કે

પ્રજ્ઞાનં બ્રહ્મ——ઋગવેદ તત્ત્વંઅસિ—-સામવેદ

અયં આત્મા બ્રહ્મ —-અથર્વ વેદ અહં બ્રહ્માસ્મિ —-યજુર્વેદ

f = ma —— Newton E = mc2 —– Einstein
આવી ધ્યાનાવસ્થામાં માનવ મુખમાંથી નીકળતા આવા ઉદ્ગારો ને જ પશ્યન્તિ વાણી કહેવા છે.

ધ્યાનાવસ્થિત તદગતેન મનસા પશ્યનિત યં યોગીનઈ
ઇતિ.

Leave a Reply