“અહં વિશે”

By gdesai

“અહં વિશે”

અહં વિશે અહં એટલે શું? અને જીવન જીવવામાં એની જરૂર ખરી? એનો સદંતર નાશ થઇ શકે ખરો ? આવા પ્રશ્નો સાધરણ રીતે સહુને સતાવતાં જ હોય છે. તો એ અંગે વિચાર કરતાં મારા મનને જે ઉત્તર મળ્યા તે અહીં રજુ કરું છું.એની યોગ્યાનુયોગ્યતા વિશે આપ સહુ પ્રતિભાવ પાડશો એવી આશા રાખું છું. અહં એટલે હું બ્રહ્મ્થી અને અન્ય વ્યકિતઓથી અલગ છું એવો મનોભાવ એટલે કે દ્વૈતભાવ.અથવા કહો કે મનનો ભરમ. અને મનમાં રહેલા આ ભરમના ત્રણ પ્રકાર હોય છે.જેવી જેની વૃત્તિ તેવો તેના મનનો ભરમ ગીતામાં શ્રી કૃષ્ણએ કહયું કે ” ત્રૈગુણ્યા વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન” એટલે કે આપણે આપણી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિઓ વડે જે જે વિષયો જાણીએ છીએ અને માણીએ છીએ તે બધા ત્રણ ગુણવાળા (સાત્વિક, રાજસિક,અને તામસિક) અર્થાત ત્રણ પ્રકારના (ઉત્તમ,મધ્યમ અને અધમ) હોય છે. આપણો અહં પણ આપણા મનનો વિષય છે એટલે તેના પણ ત્રણ પ્રકાર હોવા જ જોઇએ. તો અહં ક યા પ્રકારનો છે તે શી રીતે નકકી કરાય? સાત્વિક કે ઉત્તમ પ્રકાર સાત્વિક વ્યકિતઓના મનમાં પણ આવો ભાવ કે ભરમ હોય છે તો ખરો પરંતુ તેઓ એટલું સમજતાં હોય છે કે અન્ય વ્યકિતઓ પણ આવા જ ભરમમાં હોય છે.અને તેથી તે બધાની સાથે સમભાવ રાખી જુએ છે અને જે શકિતને કારણે હરેક વ્યકિતના મનમાં આવો ભાવ ,આવો ભરમ,ઉત્પન્ન થાય છે તે શકિતને શોધવાનો કે જાણવાનો પ્રયાસ કરતાં રહે છે.સમભાવ રાખવાથી આપણા મનમાં ઉત્પન્ન થતો વ્યકિત વ્યકિત વચ્ચેનો ભેદ દૂર કરવામાં ઘણી સરળતા થઇ જાય છે. અને તેથી મનને અંતરમુખ કે ઇશ્વરાભિમુખ કરવાનું પણ સરળ થઇ જાય છે.મને લાગે છે કે આ વાત ગીતાના દસમા અધ્યાયમાં ( વિભૂતિ યોગમાં) સારી રીતે સમજાવવામાં આવી છે. આ અધ્યાય વાંચીએ તો કદાચ એમ લાગે કે શું શ્રી કૃષ્ણને પોતાની જાતનું આટલું બધું અભિમાન હતું કે જેથી તે અર્જુન સમક્ષ “હું જ સામવેદ છું, હું જ શંકર છું, હું જ મહર્ષી છું, હું જ બધાને દંડ દેનાર છું ’’આવી આવી બડાશો હાંકે છે. ના જરાય નહી.ં પણ વાત્સવમાં એ એમ કહેવા માંગે છે કે હું તો જડ અને ચેતન બધાને સમભાવે જોઉં છું. અને તેથી જ કહી શકું છું કે “અહં સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વં પ્રવર્તતે અર્થાત અહં બ્રહ્માસ્મિ એવો મનોભાવ હું જાણી અને માણી શકું છું.” તેથી તો શ્રી કૃષ્ણને યોગેશ્વરનું બીરૂદ મળ્યું છે. સમભાવમાંથી જ એકાત્મભાવ તરફ જઇ શકાય છે. લાખો કરોડોની વસ્તિમાંથી ,રામકૃષ્ણ પરંહંસ ,કે રમણ મહર્ષી કે શંકરાચાર્ય જેવી એક બે વ્યકિતઓ કદી કદી આવી સ્થિતિએ પહોંચી શકે છે.અને એ સ્થિતિએ પહોંચતાં જ તેમનો અહં આપોઆપ નષ્ટ થઇ જાય છે. અહીં એટલું યાદ રાખવું જરુરી છે કે અહંનો નાશ થવાથી દેહનો નાશ નથી થતો કારણ અહં એ મનનો વિષય છે દેહનો નહીં. રાજસિક કે મધ્યમ પ્રકાર રાજસિક લોકો સંપૂર્ણ પણે સમભાવ નથી કેળવી શકતા. તેમના મનમાં કઇક અંશે અમુક વ્યકિત કે વસ્તુનો મોહ હોય છે અને તેથી પક્ષપાત વૃત્તિ રાખે છે. અર્જુનને આવા મધ્યમ પ્રકારનું સાચું પ્રતીક કહી શકાય.આ પ્રકારનો અહં યા તો ઉત્તમ પ્રકાર તરફ અથવા તો અધમ પ્રકાર તરફ ઘસડી જાય છે. જેનામાં પોતાનું સ્વમાન સાચવવાની શકિત હોય તે જ ઉત્તમ પ્રકાર તરફ જઇ શકે. સ્વમાન એટલે વિપરીત પરિસ્થિતિમાં પણ એ પરિસ્થિતિનો સામનો કરી સાચે માર્ગે આગળ બઢવાની શક્તિ. જો આવી શક્તિ ન હોય તો હતાશા સીવાય બીજો માર્ગ મળતો નથી.અર્જુનને વિષાદ થવાનું કારણ આજ હતું ને? તેથી તો શ્રી કૃષ્ણએ તેને ટોંણો મારી કહયું કે ” આમ અણીને સમયે તું બાયલાની જેમ રણ મેદાન છોડી દેેશે તો લોકો તારી નીંદા કર્યા વગર નહી રહે. માટે તારું સ્વમાન સાચવવા ઉભો થા અને યુદ્ધ કર”. જેને સાંસારિક જીવનમાં રસ હોય તેને માટે મધ્યમ પ્રકારનો અહં ઘણો જરુરી છે. તામસિક કે અધમ પ્રકાર આ પ્રકારના અહંનુ બીજુ નામ છે અભિમાન,કે દર્પ કે ઘમંડ. અભિમાની અને ઘમંડી માણસો પોતાની અગત્ય બતાવવા બીજાઓનું અપમાન કરવામાં કે ઉતારી પાડવામાં જરાયે વિલંબ નથી કરતાં.આવા માણસોમાં ખૂદ પોતાના કૌવતથી આગળ આવવાની શક્તિ નથી હોતી તેથી બીજાઓને ધકકા મારી પાછળ રાખવાનો પ્રયત્ન કરે છે. પણ અંતે તો એમને જ સહન કરવું પડે છે. કોઇ પણ વસ્તુ કે જે અધમ પ્રકારની હોય તેની જીવનમાં શું જરુર ! માટે આવી વૃત્તિ ત્યજવી જ જોઇએ. અને તે મનની મકકમતાથી ત્યજી શકાય છે. આ પ્રકારનું પ્રતીક છે દુર્યોધન. જે વ્યકિત અધમથી મધ્યમ અને મધ્યમથી ઉત્તમ તરફ જવાનો પ્રયત્ન કરે છે તેની જ પ્રગતી થાય છે. ટૂકમાં એટલું જ કે જે વસ્તુ કે વિચાર જીવનમાં નડતર રુપ હોય તેનો નાશ કરવો અને જે જીવન ઘડતરમાં સહાયક હોય તેનો સ્વિકાર કરવો. આને જ વિવેક બુદ્ધિ કહેવાય ને? ઇતિ.

Leave a Reply